[ મહાકવિ રવીન્દ્રનાથની સાહિત્યસૃષ્ટિનો પરિચય આપતા ગ્રંથ ‘ગુપ્તધન’માંથી પ્રસ્તુત વાર્તા સાભાર લેવામાં આવી છે.] શશીભૂષણ અને રાધામુકુંદ બે સગા ભાઈ નહોતા, બે વચ્ચે બહુ નજીકનો સંબંધ પણ નહોતો. પરંતુ બેઉ વચ્ચે સગા ભાઈઓના કરતાં પણ વધારે હેતભાવ હતો. નાનપણથી બંને વચ્ચે આવો પ્રેમસંબંધ હતો. બેઉ જણ સાથે નિશાળે જતા, ગુરુજીને થાપ આપી ભાગી જવામાં પણ બેઉ સાથે, અને રાતે ઘરનાંને ખબર ન પડે એમ છાનામાના રામલીલા જોવા જવામાં પણ સાથે ! પકડાઈ જવાય તો માર ખાવામાં પણ સાથે ! મોટા થયા પછી પણ એમનો આ પ્રેમસંબંધ ચાલુ રહ્યો. બેઉ પરણ્યા. શશીભૂષણની જમીનદારી હતી, પણ એનો વહીવટ બધો રાધામુકુંદ કરતો હતો. શશીભૂષણની સ્ત્રી વ્રજસુંદરીના મનમાં એક સંદેહ ઘર કરી ગયો હતો કે રાધામુકુંદ મારા પતિને દગો દેવાનું કરી રહ્યો છે. આનો કોઈ પુરાવો નહોતો, પણ પુરાવો નહોતો એથી એનો સંદેહ વધારે પાકો થતો જતો હતો, અને કોઈ કોઈ વાર તે કઠોર શબ્દોમાં પ્રગટ પણ થઈ જતો હતો. આવી રીતે એક વાર ગુસ્સામાં એણે રાધામુકુંદની સ્ત્રી રાસમણિના સાંભળતાં રાધામુકુંદને કઠોર વેણ સંભળાવ્યાં. કહે : ‘પ્રેમબેમ કાંઈ નથી, કેવળ પારકાનું અન્ન ખાવાની ચતુરાઈ છે બધી.’ ...