વિરહની વ્યથા વગર મિલનની મઝા અધૂરી લાગે પણ બંને બાજુ સરખું હોય તો શું કરવાનું? છાતી ચીરીને કહી ન શકાય તેવી સમસ્યા સાથે બહુ ઓછા સમયમાં નિર્ણય લેવાનો હોય-આ પાર અથવા પેલે પાર… વિશ્વા ઘડિયાળના લોલક માફક આમ તેમ ફંગોળાતી હતી. સવારનો સૂરજ ઊગશે તે ઉજાસભર્યો હશે કે નર્યો અંધકાર… કહી શકાય તેમ નથી. જિંદગીની મંજિલ પર ઘણા ધાર્યા અને અણધાર્યા વળાંકો આવતા હોય છે. કોઇ વળાંક એવો હોય કે ન અટકી શકાય, ન આગળ વધી શકાય અને ન પાછા વળી શકાય! શું કરવાનું? પણ જિંદગીના દરેક વળાંકને પોતીકો મિજાજ હોય છે. તે ફરી ક્યારેય પાછો આવવાનો હોતો નથી. તેથી જે આવે તે, જે બને તેને જીરવી જવાનું અને આનંદપૂર્વક જીવી જવાનું. દુ:ખની પરાકાષ્ઠા પછી સુખની કૂંપળ ફૂટતી હોય છે પણ ત્યાં સુધી ધૈર્ય અને ધીરજ રાખવી પડે. છેલ્લા પંદર દિવસમાં વિશ્વાના જીવનમાં એક વંટોળ આવ્યો છે. શાંત અને સ્થિર પ્રવાહમાં પથ્થર ફેંકાયો છે. ખળભળાટ મચી ગયો છે. નેશનલ ટેલેન્ટ ટેસ્ટ માટે વિશ્વા દિલ્હી આવી હતી. ત્યાં ગુજરાતી સમાજની ડોરમેટ્રીમાં સૂરજ સાથે પરિચય થાય છે. જાણે-અજાણ્યે પણ બંને વચ્ચે લાગણીનો એક તંતુ જોડાઇ જાય છે. જીવનમાં ક્યારેક એવું બને...